ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મિલકત સંબંધી ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં પાંચ આરોપીઓને ઝડપી પાડી રૂ. 12.46 લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એલસીબીની ટીમ તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તળાજા-પાલીતાણા ચોકડી પુલ નીચે દરોડો પાડ્યો હતો. ત્યાંથી પાંચ શખ્સોને સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને બે મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસે મળેલા દાગીના અને રોકડ અંગે કોઈ આધારભૂત પુરાવા કે બિલ ન મળતાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીઓએ આશરે એક મહિના અગાઉ દેવલી ગામે એક બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત રાજસ્થાનના જોધપુર જિલ્લાના બલાર વિસ્તારના ગામોમાં પણ ચોરીઓ કરી હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે કુલ રૂ. 9.81 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 2.10 લાખ રોકડ, બે મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 12.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.