વિકસિત ભારત સંકલ્પ@2047 અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના તમામ 9 તાલુકાના ગામોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગો પર સ્વચ્છતા જાગૃતિ રેલી, સાયકલ રેલી, બાઇક રેલી તેમજ પદયાત્રા રેલી યોજી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચરાના યોગ્ય નિકાલ, ભીના અને સૂકા કચરાના અલગ સંગ્રહ તથા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન સરસ્વતી નદી તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી અને નદીમાંથી એકત્ર થયેલ પ્લાસ્ટિક કચરો સિદ્ધપુર નગરપાલિકાને યોગ્ય નિકાલ માટે સુપરત કરવામાં આવ્યો હતો. “પ્લાસ્ટિક મુક્ત સિદ્ધપુર”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમોમાં સિદ્ધપુર નગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ તથા હરિયાળો બનાવવા માટે સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે