પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના ૨૩મા હપ્તાના વિતરણ નિમિત્તે દેશવ્યાપી "પીએમ-કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. આ અનુસંધાને પાટણ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), સમોડા-ગણવાડા, તાલુકા સિદ્ધપુર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી યોજનાના ૨૩મા હપ્તા હેઠળ રૂ. ૧૮,૮૮૦ કરોડથી વધુની રકમ દેશના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. જેમાં ૨.૧૮ કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૯માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. ૪.૪૬ લાખ કરોડથી વધુની સહાય ખેડૂતોને આપવામાં આવી છે, જેના પરિણામે પીએમ-કિસાન યોજના વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) પહેલોમાંની એક બની છે.કાર્યક્રમ દરમિયાન ખેડૂત ભાઈઓ અને બહેનોએ કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ ખરીફ પાકોની ખેતી અંગે ઉપયોગી માહિતી ધરાવતું સામાયિક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. ઉપેશકુમાર તથા કેન્દ્રના વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનરો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જમીન સ્વાસ્થ્ય સંરક્ષણ અને ખરીફ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે આધુનિક કૃષિ તકનીકો અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા અંગે પણ માહિતી આપી હતી.ત્યારબાદ ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.કાર્યક્રમમાં પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે મૂલ્યવાન માહિતી મેળવી હતી.